વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં રહેતા એક આશાસ્પદ યુવાને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા, તેનું અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ મોત નીપજ્યું છે. આ કરૂણ બનાવથી પરિવાર અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં રહેતા દેવરાજભાઇ વજુભાઇ રાઠોડ (ઉ.વ. ૧૮) નામના યુવાને ગત તા. ૨૧/૦૪ ના રોજ સવારે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો…

યુવાનને ઝેરી અસર થતાં સૌપ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ બોટાદની શ્રી રામ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ (કુવાડવા) સ્થિત ગીરીરાજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, યુવાનની હાલતમાં કોઈ સુધારો ન જણાતા અને સ્થિતિ વધુ ગંભીર બનતા અંતે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે….




