વાંકાનેર શહેરમાં આવેલી વિવિધ સીટી સરવે નંબર વાળી ૪૨૦.૪૧ ચોરસ મીટરની બાંધકામવાળી મિલકત અંગેનો વહેંચણી (પાર્ટીશન)નો દાવો નામદાર સિવિલ કોર્ટે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં કાયદાકીય સમયમર્યાદા (લિમિટેશન એક્ટ)ની જોગવાઈઓ હેઠળ વાદીનો દાવો રદ કરવામાં આવ્યો છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં ગુજરનાર મેઘજીભાઇ ચતુરભાઇની માલિકીની સીટી સરવે નંબર: ૬૧૬૨, ૬૧૬૩, ૬૧૬૫, ૬૧૬૬, ૬૧૬૭, ૬૧૬૮ અને ૬૧૬૯ મળીને કુલ ૪૨૦.૪૧ ચોરસ મીટર બાંધકામવાળી જમીન આવેલી છે. આ મિલકત સંબંધમાં ગુજરનાર મેઘજીભાઇના વારસદાર કમલેશભાઇ બળવંતભાઇ વિગેરે દ્વારા ગુજરનાર જીવરાજભાઇ ચતુરભાઇના વારસદાર રમાબેન ચંદ્રકાંતભાઇ પઢીયાર વિગેરે સામે નામદાર સિવિલ કોર્ટમાં વહેંચણી (પાર્ટીશન)નો દાવો રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે, ગુજરનાર મેઘજીભાઇ અને જીવરાજભાઇ વચ્ચે મિલકતની અગાઉથી જ વહેંચણી થઈ ચૂકી હતી. વર્ષ ૧૯૭૩માં (દિ.પ.અ.નં. ૨૫/૧૯૭૩) વાદીના વડવાઓ દ્વારા આ મિલકતનું પાર્ટીશન કરાવવા માંગણી કરવામાં આવી હતી. તે સમયે પણ પ્રતિવાદીના વડવાઓ તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે મિલકતનું પાર્ટીશન થઈ ગયેલું છે અને પ્રતિવાદીના કબજામાં રહેલી મિલકતમાં વાદીનો કોઈ હક કે અધિકાર નથી. આથી તે સમયે (દિ.પ.અ. નં. ૨૫/૭૩) ની અરજી રદ કરવામાં આવી હતી…

વર્ષ ૧૯૭૩માં અરજી રદ થયા બાદ વાદીઓ દ્વારા વર્ષ ૨૦૨૧માં નવેસરથી દાવો દાખલ કરવામાં આવ્યો હતો. કાયદાની જોગવાઈ મુજબ, પાર્ટીશન અંગેનો દાવો લિમિટેશન એકટ તળે ૧૨ વર્ષની સમયમર્યાદાની અંદર કરવો જરૂરી છે. વાદીએ નક્કી સમયગાળામાં દાવો ન કર્યો હોવાથી, નામદાર સિવિલ કોર્ટે વાદીનો દાવો નામંજૂર કર્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે વાદીને દાવાવાળી મિલકતમાં માગ્યા મુજબની કોઈ દાદ કે હક-અધિકાર મેળવવાનો અધિકાર રહેતો નથી. આ કામમાં પ્રતિવાદી તરફે વાંકાનેરના વિદ્વાન વકીલ શ્રીમતી દક્ષાબેન એમ. અઘારા રોકાયેલા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



