વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાંથી એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં પતિએ માત્ર વહેલું જમવાનું બનાવવાનું કહેતાં મનમાં લાગી આવવાના કારણે ૪૬ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

બાબતે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સીતાબેન રાજેશભાઈ રજાક (ઉં.વ. ૪૬) નામની પરિણીતાને પતિ રાજેશભાઈએ ‘વહેલું જમવાનું બનાવી દેવા’ માટે કહેતા મનમાં માઠું લાગી આવતા આવેશમાં આવીને પરિણીતાએ વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું…

આ બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા, વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે…




