મોરબી શહેરની વિવિધ સોસાયટીઓના રહીશોએ એકજૂથ થઈને ખેડૂતોના હિતમાં ચાલી રહેલા આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. “જય જવાન, જય કિસાન, જય ભારત” ના નારા સાથે આ શહેરીજનો ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે…

મોરબી શહેરના ખોડીયાર પાર્ક, આલાપ પાર્ક, ન્યુ આલાપ પાર્ક અને પટેલ નગરના રહીશોએ ખેડૂતોના સમર્થનમાં સાથ અને સહકારની ભાવના દર્શાવી છે. તમામ શહેરીજનોએ નિષ્પક્ષ, નિરપેક્ષ અને નિસ્વાર્થ બનીને જેતપર તથા અન્ય ગામોએ ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સામૂહિક સમર્થન જાહેર કર્યું છે. રહીશો દ્વારા ખેડૂતોના ખેતપાકને થતા નુકસાન અને હાઈ-ટેન્શન વીજ લાઈનો નાખવા બદલ ખેડૂતોને જે નુકસાની વેઠવી પડે છે, તેની સામે યોગ્ય અને સંતોષકારક વળતરની માંગ સરકાર સમક્ષ ઉઠાવવામાં આવી છે.

આ તકે શહેરીજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સરકાર દ્વારા કિસાન અને ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. અન્નદાતાની આ લડતમાં મોરબીના શહેરીજનોએ પણ સહાનુભૂતિપૂર્વક જોડાઈને ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો છે.



