વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં કામકાજ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ફેક્ટરીના ગોડાઉનમાં સિરામિક પાવડર ભરેલી થેલીઓનો મોટો થપ્પો ધરાશાયી થતાં ચાર શ્રમિકો નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજાઓને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ઈજાઓ પહોંચી છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઢુવા સીમમાં આવેલી ‘નાગમતિ એન્ટરપ્રાઈઝ મિરેકલ સિરામિક’માં રહીને મજૂરી કામ કરતા ૩૭ વર્ષીય મુકેશકુમાર અને અજીતકુમાર વીરેન્દ્રસિંહ ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા. તેઓ પચાસ કિલો સિરામિક પાવડર ભરેલી થેલીઓમાંથી પાવડર ઓર્ડર મુજબ મોટા બોરામાં ખાલી કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન મુકેશકુમારે થપ્પામાંથી નીચેની બાજુ રહેલી પાવડરની થેલી ખેંચતા સંતુલન ખોરવાયું હતું. જેને કારણે ઉપર રહેલી પાવડર ભરેલી વજનદાર થેલીઓ મુકેશકુમાર અને અજીતકુમાર પર પડતા બંને શ્રમિકો નીચે દબાઈ ગયા હતા.
આ દ્રશ્ય જોઈને તેઓને બચાવવા માટે ત્યાં હાજર અન્ય શ્રમિકો કાલુભાઈ ભુરીયા અને લાખન જાટવ દોડી આવ્યા હતા. તેઓ મુકેશકુમાર અને અજીતકુમારને બહાર કાઢવા માટે પાવડરની વજનદાર બોરીઓ હટાવી રહ્યા હતા, તે જ સમયે બાજુમાં રહેલો પાવડરની થેલીઓનો બીજો મોટો થપ્પો કાલુ ભુરીયા અને લાખન જાટવ પર પડ્યો હતો. જેથી આ બંને શ્રમિકો પણ નીચે દબાઈ ગયા હતા.

આસપાસના લોકો દ્વારા ભારે જહેમત બાદ બોરીઓ હટાવીને ચારેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, વજનદાર થેલીઓ નીચે દબાઈ જવાને કારણે મુકેશકુમારનું ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજીતકુમાર, કાલુભાઈ અને લાખન જાટવને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર ફેક્ટરી પરિસર અને શ્રમિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



