
રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલો અને હાઇકોર્ટના હુકમથી પેરોલ રજા પર મુક્ત થયેલો વાંકાનેરનો એક કેદી નિયત સમયે જેલમાં હાજર ન થઈ પેરોલ જમ્પ કરી જતા તેની સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતો ફિરોઝભાઈ અબ્દુલભાઇ બેલીમ નામનો શખ્સ ગુનાહિત પ્રવૃત્તિ સબબ રાજકોટની મધ્યસ્થ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યો હોય દરમિયાન, નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ અનુસાર આ કેદીને શરતી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

પેરોલ રજા મંજૂર કરતી વખતે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી શરતો મુજબ, રજાનો સમયગાળો પૂર્ણ થયા બાદ કેદી ફિરોઝભાઈ બેલીમે ગત તા. ૧૦ એપ્રિલના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ફરીથી સજા કાપવા માટે હાજર થવાનું હતું. પરંતુ નિયત તારીખ અને સમય વીતી જવા છતાં આ કેદી જેલમાં પરત ફર્યો ન હતો અને પેરોલનો ભંગ કરી ફરાર થઈ ગયો હતો.

નિયત સમયે કેદી જેલમાં પરત ન ફરતા જેલ પ્રશાસન દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી. આ મામલે રાજકોટ જેલના જેલર કે. જી. સીસોદીયાએ પેરોલ જમ્પ કરનાર કેદી ફિરોઝભાઈ અબ્દુલભાઇ બેલીમ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. હાલમાં વાંકાનેર પોલીસે જેલરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા કેદીને સત્વરે ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



