વાંકાનેર તાલુકાના ચંદ્રપુર વિસ્તારમાં આવેલ ‘સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સ’માં ધંધો કરતા સેંકડો વેપારીઓ માટે આજનો દિવસ મોટી રાહત લઈને આવ્યો છે. ફાયર વિભાગની કડક કાર્યવાહીના ભાગરૂપે સીલ કરવામાં આવેલી 240થી વધુ દુકાનોના તાળા આજે બપોરે અંતે ખુલી ગયા છે. દુકાનો ફરીથી શરૂ થતાં વેપારીઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૫ ઓગષ્ટના રોજ ફાયર વિભાગ દ્વારા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં અગાઉની ફાયર સેફ્ટી અંગે ચાર નોટિસ બાદ ચેકિંગ હાથ ધરી અંદાજે 240 જેટલી દુકાનોને સીલ મારી દીધા હતા. આ કાર્યવાહીથી વેપારીઓના ધંધા-રોજગાર પર સીધી અસર પડી હતી….

દુકાનો સીલ થતાં વેપારીઓએ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. નિયમાનુસાર ફાયર સેફ્ટીના તમામ સાધનો તાત્કાલિક લગાવવાની અને ફાયર વિભાગના નિયમોનું પાલન કરવાની બાંહેધરી કોમ્પલેક્ષ ઓનર તથા વેપારીઓ દ્વારા આપવામાં આવતા જરૂરી વહીવટી કાર્યવાહી બાદ આજે બપોરે ફાયર વિભાગ દ્વારા સમગ્ર કોમ્પલેક્ષના સીલ વિધિવત રીતે ખોલી દેવામાં આવ્યા હતા…

પોતાના રોજગારના સ્થળના તાળા ખુલતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દુકાનો ખુલતાની સાથે જ કોમ્પ્લેક્સમાં ફરી એકવાર ગ્રાહકો અને વેપારીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ છે અને સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ ધંધા-રોજગારથી ફરી ધમધમતું થઈ ગયું છે. ભવિષ્યમાં આવી અગવડતા ન પડે તે માટે તમામ વેપારીઓને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



