વાંકાનેર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા પંપ હાઉસ પાસેથી રેલવેના રૂ. 4.80 લાખની કિંમતના ઈલેક્ટ્રિકલ કેબલના 3 ડ્રમની ચોરી થતાં રેલવે તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. આ ચકચારી ઘટનાની ગંભીરતાને પગલે મુંબઈ હેડ ક્વાર્ટર્સથી આઈજી કમ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાની અને રાજકોટ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ વાંકાનેર દોડી આવ્યા હતા. RPF દ્વારા સઘન તપાસ હાથ ધરી ચોરીના બનાવમાં રલ્વે કર્મચારી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 11 ના રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ક્રેઈન જેવા ભારે મશીનનો ઉપયોગ કરી વાંકાનેર રેલ્વે સ્ટેશન પાછળ નવા પંપ હાઉસ પાસેથી રાખેલા કેબલના 3 ડ્રમ ઊંચકીને મિની ટ્રકમાં લોડ કરી ચોરી કરી હતી. જેમાં 25 ચોરસ મીમી ક્ષમતાનો 517 મીટર લાંબો એક કેબલ તથા 35 ચોરસ મીમી ક્ષમતાના અનુક્રમે 494 મીટર અને 502 મીટર લાંબા બે કેબલ મળી કુલ 1508 મીટર લાંબો ઈલેક્ટ્રિકલ કેબલ ચોરાયો હતો. આ અંગે વાંકાનેરના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા RPF માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ચોરી કર્યા બાદ આરોપીઓએ સરકારી ચોરાઉ માલ વેચવા માટે 4 સ્થળે કોશિશ કરી હતી પરંતુ માલ ન વેચાતા શક્તિનગર પાસે જાહેરમાં છોડી નાસી ગયા હતા. જેને પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી કરી છે. RPF ના PI ડામોર સહિતની ટીમે તપાસ હાથ ધરીને રેલવેમાં સંડોવાયેલા ડબ્લ્યુઆરઈયુ (વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન) ના બ્રાન્ચ સેક્રેટરી અશોકકુમાર રંગમ ભડિયાસી, આરપીએફના આઉટ શોર્ય ડ્રાઈવર કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઈસ્તિયાક અહેમદ ખાન (ડ્રાઈવર) અને રણછોડ રાયાભાઈ ટોટા (ડ્રાઈવર) નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હેરાફેરીમાં વપરાયેલો મિની ટ્રક અને સ્ક્રેપના વેપારી પાસેથી કેટલોક મુદ્દામાલ અને ક્રેઈન રિકવર કર્યા છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓના નામ ઓકાવવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




