મહિલાના પતિએ ગેરકાયદેસર રીતે ત્રણ વખત તલાક અંગે સોગંદનામું મોકલતા વાંકાનેર સિટી પોલીસમાં ગુનો નોંધાયો….
વાંકાનેર સીટી પોલીસ મથકમાં મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌપ્રથમ કેસ નોંધાયો છે, જેમાં મહિલાને મુંબઈ ખાતે રહેતા તેના પતિએ ગેરકાયદેસર રીતે ત્રણ વખત સોગંદનામાંથી તલાક મોકલી આપતા આ મામલે વાકાનેર સિટી પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ખોજાખાના શેરીમાં પિતાના ઘરે રહેતા ફરિયાદી કેલીન રહીમભાઈ હુદ્દા નામની મહિલા ડોક્ટરએ તેના પતિ એવા આરોપી રહીમભાઈ રફીકભાઈ હુદ્દા (રહે. મુળ સુરેન્દ્રનગર, હાલ રહે. સી.એચ.એ. સ. વી. રોડ, ખોજા જમાતખાના સામે, મુંબઈ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના લગ્ન દસ વર્ષ પુર્વે થયા હોય, જેમાં તેમને સંતાનમાં એક દિકરી હોય, દરમ્યાન વર્ષ ૨૦૨૪ માં ફરિયાદીએ તેમની ડોક્ટરી પ્રેક્ટિસના નાણા પતિને આપવાનું બંધ કરતા પતિએ ફરિયાદીને એનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવા લાગતા,
ફરિયાદી 11 મહિના પુર્વે તેમના પિતાના ઘરે વાંકાનેર આવી ગયેલ હોય અને ઇસ્માઇલી ખોજા સમાજમાં પતિ વિરુદ્ધ મે-૨૦૨૪ માં તલાક લેવા અંગે સમાજની રૂએ મધ્યસ્થી કરવા કેશ કરેલ હોય, જે દરમ્યાન તેમના પતિએ ત્રણ વખત અલગ અલગ કુરીયરથી તેમને સોગંદનામું મોકલી તલાક આપતા, આ અંગે મહિલાએ ભારત સરકારના નવા કાયદા મુજબ પતિ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ અરજી કરતાં પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ 4 મુજબ ગુનો નોંધી બનાવવા વધુ તપાસ શરૂ કરી છે..