M.Com. સુધી અભ્યાસ કરેલ ખેડૂત ગગજીભાઈ બાવળીયાએ વિવિધ સરકારી તાલીમો મેળવી પ્રાકૃતિક કૃષિથી વાર્ષે એપલ-બોરનું 300 મણ તથા જામફળનું 250 મણ ઉત્પાદન મેળવી રહ્યા છે….
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય, જેનાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. આ પ્રોત્સાહનથી ખેડૂતો દરેક જિલ્લાઓમાં યોજાતી પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનવવાથી ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને આવકમાં વધારો થયો છે. ખેતીની આવક વધતા ખેડૂતો સમૃદ્ધ બની રહ્યાં છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી વર્ષે મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે…
વાંકાનેરના રાજસ્થળી ગામના 32 વર્ષીય ખેડૂત ગગજીભાઈ બાવળીયાએ M.Com.નો અભ્યાસ પુર્ણ કરી પારંપરિક ખેતી વ્યવસાય સાથે કાઇંક નવીન કરવાના વિચાર સાથે જોડાઇ તેમના જુની રાસાયણિક ખેતીમાં કપાસ પાકને છોડી, રામકૃષ્ણ આશ્રમ -કચ્છ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી તથા ત્યારબાદ અમદાવાદ ખાતે ત્રણ દિવસની પ્રાકૃતિક તાલીમ મેળવી હતી. જે બાદ વાંકાનેર તાલુકાના આત્મા પ્રોજેક્ટથી ઉપયોગી માર્ગદર્શન મેળવી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ કરવાનો નિર્ણય લીધો હતો.
આ તકે તેમણે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાકની વાવણી પહેલા જમીનમાં ઘન જીવામુતનો ઉપયોગ કરીએ છીએ. બીજને બિજામૃતનો પટ આપી વાવેતર કરીએ છીએ જેના કારણે ઉગાવો સારો થાય છે. તથા પુર્તી ખાતર માટે જીવામુત તથા ઘન જીવામુત વાપરીએ છીએ. નિંદામણ નિયંત્રણ માટે આંતર ખેડ તથા હાથથી નિંદામણ કરીએ છીએ. અળસિયાની સંખ્યામાં વધારો થવાથી જમીનની નિતાર શક્તિમાં વધારો થયો છે.
રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર અગ્નીઅસ્ત્ર, ખાટી છાસ, દસ્પર્ણીઅર્ક વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આચ્છાદન પણ અપનાવીએ છીએ જેથી જમીનનું તાપમાન જાળવી શકાય છે. હાલ હું જામફળ, એપલબોર, મગફળી, ઘાસચારો વગેરે પાકોનું વાવેતર કરૂ છુ. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેતીમાં મને આવકમાં વધારો થયો અને ખર્ચમાં ઘટાડો થવા લાગ્યો. જામફળીના પાકમાં 250 મણ અને એપલ બોરમાં 300 મણ જેટલું વાર્ષિક ઉત્પાદન થાય છે, જેનાથી બે લાખ જેટલી આવક થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા વિવિધ તાલીમો યોજી રહી છે. જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન મેળવી ખેડૂતો તાલીમબદ્ધ થઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી આર્થિક સમૃદ્ધી મેળવી રહ્યા છે….