ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર શહેરમાં ‘માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ’ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વાંકાનેર શહેર અને તાલુકાના ૩૫થી વધુ પંડાલોના ગણપતિ દાદા એકસાથે નગરચર્યાએ નીકળ્યા હતા અને ત્યારબાદ નગરના વિવિધ પંડાલોમાં તેમની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી….

આ વિશાળ શોભાયાત્રા વાંકાનેરના જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતેથી પ્રસ્થાન થઈને શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. યાત્રાનું મુખ્ય આકર્ષણ ‘માર્કેટ ચોક કા રાજા’ની ૧૨ ફૂટ ઊંચી વિઘ્નવિનાયકની વિશાળ અને આકર્ષક મૂર્તિ રહી હતી, જેના દર્શન અને સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા….


ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સાધુ-સંતો, વિવિધ પંડાલના આયોજકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા અને વિઘ્નહર્તાનું ભવ્ય સ્વાગત કર્યું હતું….



