પ્લેનમાં સવાર લગભગ તમામ મુસાફરોના મોતની આશંકા, હોસ્ટેલ બિલ્ડીંગમાં આરામ કરતાં 50 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોના પણ મોતની આશંકા….
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી….
અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. જેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયાની વિગતો મળી રહી છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે. દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું. ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા. ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિકો સવાર હતા, જ્યારે બ્રિટનની નાગરિકતા ધરાવતા 53, કેનેડાના 1 અને પોર્ટુગલના 7 નાગરિકો હતા….
આ ફ્લાઇટ અમદાવાદથી ટેકઓફ થયા બાદ ડાયરેક્ટ લંડનમાં લેન્ડિંગ કરતી હોય છે. એટલે તેમાં 58 હજાર લિટર એર-ટર્બાઇન ઈંધણ હતું. જ્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારે ઈંધણના મોટા જથ્થાના કારણે બ્લાસ્ટ જેવું થયું હતું અને ફ્લાઇટ વિકરાળ આગમાં ઘેરાઈ ગઈ હતી….
અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પ્લેન પડ્યું ; 50-60 ઈન્ટર્ન ડોક્ટર હતા, 6ના મૃતદેહો મળ્યા….
એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગ સાથે પ્લેન અથડાયું હતું. પ્લેનના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. અતુલ્ય બિલ્ડીંગો માં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા તે બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા.
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ…
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ એરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે….