વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમમાંથી નીકળતી સિંચાઈની કેનાલ પર વાંકાનેરના સિંધાવદર નજીક આવેલા કાસમપરા ગામના મુખ્ય માર્ગ પરનું નાળું છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. આ નાળું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભયજનક સ્થિતિમાં હોવાથી ગામલોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે કાસમપરા ગામમાં ૫૦ કરતા વધુ પરીવારો વસવાટ કરતા હોય જેમના માટે આ નાળું મુખ્ય મથક અને અન્ય વિસ્તારો સાથે જોડાવાનો એકમાત્ર રસ્તો છે. જો આ જર્જરિત નાળું તૂટી જશે, તો સમગ્ર ગામનો સંપર્ક કપાઈ જશે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે રસ્તો બંધ થવાથી કોઈપણ મેડિકલ કે અન્ય ઈમરજન્સીના સમયે લોકો ગામની બહાર જઈ શકશે નહીં, જેના પરિણામે કોઈ દર્દીનો જીવ જવાનો પણ ખતરો છે…

આ ગંભીર સમસ્યામાં વધારો કરતું એક કારણ એ પણ છે કે, આ વિસ્તારમાં ખાનગી JSW કંપનીનો સોલાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના સાધનો અને માલસામાનની હેરફેર કરતા અત્યંત ભારે (હેવી લોડિંગ) વાહનો પણ આ જ નબળા અને જર્જરિત નાળા પરથી સતત પસાર થઈ રહ્યા છે. ભારે વાહનોના વજનના કારણે આ નાળું ક્યારે બેસી જશે તે કહી શકાય તેમ નથી. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે આ જર્જરિત નાળાનું સમારકામ કરવામાં આવે અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી સમસ્યાનું નિવારણ લાવી શકાય….


