Thursday, August 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારના નાગરિકો માટે સ્માર્ટ પુસ્તકાલયની ઉગ્ર માંગ, શિક્ષણ જગતનું વ્યાપક સમર્થન....

    વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે સ્માર્ટ પુસ્તકાલયની ઉગ્ર માંગ, શિક્ષણ જગતનું વ્યાપક સમર્થન….

    આઝાદીના ૭૯ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં વાંકાનેર તાલુકામાં એક પણ સંપૂર્ણ સુવિધાયુક્ત, આધુનિક જાહેર પુસ્તકાલય ન હોવાના મુદ્દે આજે વાંકાનેરના જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી પુસ્તકાલયની માંગ કરી છે. આ અરજી સાથે વાંકાનેરની વિવિધ શાળા-કોલેજોના આચાર્ય તથા સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને પોતાનું સમર્થન નોંધાવ્યું છે.

    વાંકાનેરમાં હાલ જે નાનકડી સરકારી લાઈબ્રેરી ચાલે છે, તે આજના સમયની જરૂરિયાત મુજબ પૂરતી નથી. વાંકાનેર વિસ્તારની બહોળી વસ્તીને ધ્યાનમાં રાખી નાગરિકોને એક સુવિધાસભર લાયબ્રેરી મળે તે ખુબ જ જરૂરી બની ગયું છે. વાંકાનેર પંથકના નાગરિકો Class A કક્ષાના પુસ્તકાલયના નિર્માણની માંગણી કરી રહ્યા છે, જેમાં ૧૫,૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ-વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો અલાયદો વિભાગ સામેલ હોય…

    અરજીમાં આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ લાઈબ્રેરી એસોસિએશન્સ (IFLA)ના ધોરણને ટાંકવામાં આવ્યું છે, જે મુજબ દર ૩,૦૦૦ વ્યક્તિએ એક જાહેર પુસ્તકાલય હોવું જોઈએ. આ ધોરણ પ્રમાણે ભારતને ૪ લાખથી વધુ પુસ્તકાલય એકમોની જરૂર છે, જ્યારે ભારતનો માથાદીઠ પુસ્તકાલય ખર્ચ માત્ર ૭ પૈસા છે — અમેરિકામાં આ આંકડો $35.96 જેટલો છે. અરજદારે એ પણ નોંધ્યું કે ૧૯૪૭માં દેશની સાક્ષરતા આશરે ૧૨-૧૮% હતી, જે આજે ૭૪%થી વધુ છે, પરંતુ પુસ્તકાલયોનું માળખું એ ગતિએ વિકસ્યું નથી…

    અરજદારે સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ માટે નાણાકીય ભંડોળ પણ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશન (RRRLF) દ્વારા ૬૦:૪૦ ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ મળે છે, જ્યારે ગુજરાત સરકારે “વાંચે ગુજરાત” અભિયાન અંતર્ગત ૨૦૨૩-૨૪થી પુસ્તકાલયો માટે ૧૦૦% અનુદાનની જોગવાઈ કરી છે. રાજ્યમાં હાલ ૧૯૭ સરકારી પુસ્તકાલયો કાર્યરત છે અને ૭૧ નવાં મંજૂર થયાં છે. “એટલે માત્ર જમીન ફાળવણી અને મામલતદારશ્રીની ભલામણ — આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે પૂરતાં છે,” તેમ અરજદારે જણાવ્યું છે…

    આ અરજી સાથે વાંકાનેરની શાળા-કોલેજોના આચાર્યો અને સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને એક અલગ સમર્થનપત્ર જોડ્યું છે, જે દર્શાવે છે કે આ માંગણી કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર વાંકાનેરના યુવાધનની છે. અરજદારે જણાવ્યું કે અત્યાર સુધી આ મુદ્દે કોઈએ ઔપચારિક રજૂઆત કરી ન હતી, અને આ પહેલ રાજકીય નહીં પરંતુ સંપૂર્ણપણે નાગરિક અને શૈક્ષણિક હિતની છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!