Sunday, April 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન : ગ્રામ્ય...

    વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન : ગ્રામ્ય વિસ્તારોમાં 77.81% નો ઉત્સાહ, શહેરમાં 58.56% ની નિરસતા…

    વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજરોજ રવિવારે સાંજે છ વાગ્યે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં લોકોએ મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી. તમામ ઉમેદવારોના રાજકીય ભવિષ્ય હવે ઈવીએમ (EVM) મશીનમાં સીલ થઈ ગયા છે અને સૌ કોઈની નજર આગામી મંગળવારે થનારી મતગણતરી પર મંડાયેલી છે….

    નગરપાલિકામાં નિરસ મતદાન : કહેવાતા ‘વિકાસ’થી શહેરીજનો નારાજ ?

    વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા એકદમ નિરસ રહી હતી અને સરેરાશ માત્ર 58.56% જેટલું જ મતદાન નોંધાયું છે. પ્રાપ્ત અહેવાલો અને સ્થાનિક ચર્ચાઓ અનુસાર, શહેરી વિસ્તારમાં કહેવાતા વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના અભાવથી કંટાળી ગયેલા પ્રજાજનોએ લોકશાહીના આ પર્વમાં બિલકુલ નિરસતા દાખવી હતી. શહેરના મોટાભાગના મતદાન મથકો પર મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી હતી, જે રાજકીય પક્ષો માટે આત્મનિરીક્ષણ અને ચિંતાનો વિષય બની શકે છે….

    વાંકાનેર નગરપાલિકાના છ વોર્ડ માટે યોજાયેલ મતદાનની વિગતો…

    વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક 77.81 % ધીંગુ મતદાન…

    શહેરી વિસ્તારની સરખામણીમાં વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ એકદમ જીવંત અને ઉત્સાહવર્ધક જોવા મળ્યો હતો. વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો તથા જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે સરેરાશ 77.81% જેટલું ધીંગુ મતદાન નોંધાયું છે…

    જીલ્લા પંચાયતની સાત બેઠકો પર થયેલ કુલ મતદાન…

    વિસ્તૃત આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા બેઠક પર જોવા મળ્યુ છે, જેમાં મતદારોએ જબરદસ્ત ઉત્સાહ દાખવતા અહીં સૌથી વધુ 88.57% જેટલું જંગી મતદાન નોંધાયું છે. જ્યારે બીજી તરફ, ચંદ્રપુર બેઠક પર મતદાનનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું, જ્યાં માત્ર 56.28% જ મતદાન થયું છે…

    તાલુકા પંચાયતની 24 બેઠકો પર થયેલ કુલ મતદાન…

    મંગળવારે થશે આખરી ફેંસલો…

    સમગ્ર વાંકાનેર પંથકમાં ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગની સઘન સુરક્ષા વ્યવસ્થાના કારણે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી. લોકશાહીના આ જંગમાં મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થઈ ગયા છે. જેના માટે મંગળવારે અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે વાંકાનેરની જનતાએ કોના પર કળશ ઢોળ્યો છે અને કોને જાકારો આપ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!