મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી છે. જો કે, આ જીત માનીએ તેટલી સરળ નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો જોતા લાગે છે કે, જાણે મહાયુતિની સુનામી આવી ગઈ છે. મહાયુતિની સામે મહાવિકાસ આઘાડીનો સંપૂર્ણ પરાજય થયો હતો. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની આગેવાની હેઠળની MVA 50 બેઠકોમાં જ સમેટાઈ ગઈ હતી. હવે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે ? આ સવાલ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે ? તેના પર હાલમાં તો સસ્પેન્સ છે….
હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકોને જોઈને ફડણવીસ કેમ્પ સીએમ પદને લઈને સક્રિય થઈ ગયો છે. ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એકનાથ શિંદે પણ સરળતાથી માનવા માટે તૈયાર નથી. શિંદેએ એક નિવેદન આપીને ફરી મુશ્કેલી ઉભી કરી છે. મહારાષ્ટ્રમાં સીએમ અંગેના સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું કે, એવું નક્કી નથી થયું કે, જેની વધારે બેઠકો હોય તેમનો મુખ્યમંત્રી બનશે. તેમણે કહ્યું કે મહાયુતિના ત્રણેય દળના પક્ષોના નેતાઓ બેસીને આ અંગે નિર્ણય કરશે. દેવેન્દ્ર ફડણવીસ પણ કંઈક આવું જ કહી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે, સીએમ પદ અંગેનો નિર્ણય સાથે બેસીને લેવામાં આવશે…
જો કે, ચૂંટણી પહેલા અને પરિણામો પછી બંને સંકેતો પરથી સ્પષ્ટ છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. મહાયુતિને 220+ બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 125થી વધુ બેઠકો કબજે કરી લીધી છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ આ વખતે મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે, શું એકનાથ શિંદે તથા અજીત પવાર સહેલાઈથી સહમત થશે ? આનો જવાબ આપતા પહેલા એ જાણવું જરૂરી છે કે, ફડણવીસ માટે સીએમ પદની માંગ ભાજપમાં જોર પકડવા લાગી છે. અને આરએસએસ ખુદ પણ ઇચ્છે છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને. હવે મહારાષ્ટ્રમાં ચુંટણી જીત્યા બાદ પણ મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ શરૂ થતાં આ વખતે ભાજપ માટે નિર્ણય લેવો અઘરો સાબિત થઇ શકે છે….