તાજેતરમાં ૫મી સપ્ટેમ્બર, શિક્ષકદિનના પાવન અવસરે મોરબી ખાતે જિલ્લા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાને પ્રાથમિક વિભાગમાં ‘મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આર્યવર્ત શૈક્ષણિક સંકૂલ કેમ્પસ સ્થિત શ્રી સાધના વિદ્યાલય (લક્ષ્મીનગર) ખાતે આ વિશેષ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્યો અને યોગદાન થકી જિલ્લા કક્ષાનો આ એવોર્ડ પ્રાપ્ત કરીને શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા તેમજ સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે…




