બંને જુથના મળી ચારથી પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ગતરાત્રીના ગામમાં બે જૂથો વચ્ચે થયેલી ભયાનક સશસ્ત્ર અથડામણમાં એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતની દાઝ રાખીને બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. આ સશસ્ત્ર અથડામણમાં વિરમભાઈ સામતભાઈ સરૈયા નામના ભરવાડ(માલધારી) યુવાનની તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ ઈજાઓ પહોંચાડી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

આ સશસ્ત્ર ધીંગાણામાં બંને જૂથના અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યા અને જૂથ અથડામણની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થિતિ વધુ ન વણસે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે….



