
હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે લોકોને ગરમીથી રાહત પહોંચાડવાના ઉમદા હેતુથી વાંકાનેર શહેરની મિલપ્લોટ ફાટક પાસે પીઠળ ગાંઠીયા રથ દ્વારા રાહદારીઓ માટે નિઃશુલ્ક શેરડીના રસના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, પીઠળ ગાંઠીયા રથના સંચાલક પિયુષભાઈ દ્વારા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે વર્ષમાં બે વખત આ પ્રકારના સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને આજરોજ શુક્રવારે રાહદારીઓ અને વાહનચાલકોને આખો દિવસ વિનામૂલ્યે ઠંડો શેરડીનો રસ પીવડાવવામાં આવી રહ્યો છે. આ સેવા કાર્ય મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે આખો દિવસ દરમિયાન અંદાજે ૨૦૦ મણ શેરડીના રસનું વિતરણ કરવામાં આવશે. ધોમધખતા તાપમાં રસ્તા પરથી પસાર થતા લોકોએ આ ઠંડો અને મીઠો શેરડીનો રસ પીને રાહતનો શ્વાસ લીધો હતો….

લોકોને ગરમીમાં ઠંડક અર્પણ કરવાના આ ભગીરથ કાર્ય બદલ સ્થાનિક નાગરિકો અને રાહદારીઓ દ્વારા પિયુષભાઈ તથા પીઠળ ગાંઠીયા રથની ટીમના આ સેવાકાર્યની ભારે પ્રશંસા કરવામાં આવી હતી….




