વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે બે સિંચાઈ યોજના થકી ૪૧ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે પ્રકારે આયોજન ઘડી અમલવારી કરાવનાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તાલુકા ભાજપ પ્રમુખ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો, સરપંચો સહિતના આગેવાનો દ્વારા વિડિયો સંદેશ મારફતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે….
આ બંને યોજના વિશે વધુ માહીતી આપતા વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે, પ્રથમ ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૭૭ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ૩૪ ગામો જેમાં સમથેરવા, ઓળ, ભીમગુડા, વીડી જાંબુડીયા, રાજગઢ, પલાસ, વરડુંસર, નાગલપર, જામસર, મકતાનપર, આણદપર, માટેલ, વીરપર, રાતાવીરડા, સરતાનપર, ઢૂવા, લાકડધાર, ગાંગીયાવદર, રાજસ્થળી, દેરાળા, ખાનપર, લૂણસર, ચિત્રાખડા, ભેરડા, પાડધરા, વિઠ્ઠલપર, ભાયાતી જાંબુડીયા, જાલી, બોકડથંભા, નવા લૂણસરીયા, પલાસડી, ધમલપર, હશનપર અને સરધારકા ગામોને સિંચાઈનો લાભ આપવા યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રસ્થાપિત સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ના હયાત પમ્પિંગ સ્ટેશનનો ઉપયોગ કરી ૩૪ ગામોને ૧૫૦ કિલોમીટર લંબાઈની પાઈપલાઈન નેટવર્કથી સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી આશરે ૧૧,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે…
બીજી ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના થકી વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા, ભલગામ, જાલીડા, મેસરીયા, સમઢીયાળા, રાતડીયા અને મહીકા સહિત ચોટીલા તાલુકાના ૧૭ થી વધુ ગામોને સિંચાઈનો લાભ મળશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૫૬ કરોડના ખર્ચેને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેનાથી ૧૩,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ સાથે જ વાંકાનેર તાલુકાના બાકી રહેતા સિંચાઈ વિહોણા વિવિધ ગામોના મોટા તળાવોને પણ જોડાવાનું કામ હાલ કાર્યરત છે. આ બંને યોજનાના આલેખન આખરીકરણ બાદ ટૂંક જ સમયમાં ટેન્ડર બહાર પાડી સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવશે….