વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલ દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ ખાતે મોરબી પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહની શિક્ષણ વ્યવસ્થા વિશે માર્ગદર્શન માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ સેમિનારમાં વાંકાનેર તાલુકા પીઆઇ દિલીપ ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એસ. આર. બાદી, ભાજપ અગ્રણી ગનીભાઇ દેકાવાડીયા, વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના અમિનસાહેબ તેમજ સંસ્થાના કર્મચારીગણ તથા સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે ઉપસ્થિત મહેમાનો પૈકી તાલુકા પીઆઇ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહોના શિક્ષણ વિશે તેમજ વર્તમાન પ્રવાહમાં ચાલતા દેશ અને દુનિયાની વિવિધ યોજનાઓ, માહિતી વિશે અપડેટ રહેવા, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરવા માટેના શિક્ષણ પર ભાર મુક્યો હતો. આ સાથે જ પીઆઇ દ્વારા સંસ્થાની કામગીરી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશે વિગતો મેળવી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી આવેલ બાદી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શિક્ષણ વિશે સમજ આપવામાં આવી હતી. ભારતીય બંધારણ મુજબ અને ઇસ્લામિક રીતે જીવનમાં સ્વચ્છતા અને શિક્ષણનું મૂલ્ય શું છે ? કઈ રીતે મહત્વ ધરાવે છે તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….
વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહેમાનોને આવકારી સંસ્થાની કામગીરી અને તેમાં ચાલતા અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ તેમજ સંસ્થાના ભૂતકાળના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ હાલમાં કઈ જગ્યાએ શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી અને કેવી રીતે પોતાની ફરજો બજાવે છે તેના વિશે પણ ખૂબ જ મહત્વની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા….