વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રસ્તા પરથી ગાય-બકરાં સાઈડમાં લેવા બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે આધેડ ખેડૂત પર લાકડી વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇજાગ્રસ્ત ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા ફરીયાદી ખેડૂત ઇલ્મુદીનભાઈ મામદભાઈ માથકીયા (ઉ.વ. ૪૬) પોતાની પત્ની સાથે પાવર ટિલર ટ્રેક્ટર (ટ્રોલી સાથે) લઈને વાડીએ જઈ રહ્યા હોય દરમ્યાન ગાડા માર્ગમાં આરોપી હિરાભાઈ જેસાભાઈ ટોટા પોતાના પશુઓ લઈને ધીમે ચાલી રહ્યો હોવાથી, ખેડૂતે ટ્રેક્ટર કાઢવા માટે રસ્તો માંગતા આરોપી ઉશ્કેરાયો હતો…


દાદાગીરી પર ઉતરેલા માલધારી હિરાભાઈએ ઉશ્કેરાઈ જઈ ખેડૂત પર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીએ ખેડૂતને ભૂંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આ મામલે ઇજાગ્રસ્ત ખેડૂતની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…



