વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં કોંગ્રેસના વર્ષો જૂના અને અડીખમ ગઢ ગણાતી ‘અરણીટીંબા’ બેઠક પર અપેક્ષા મુજબ જ કોંગ્રેસનો દબદબો કાયમ રહ્યો છે. કોંગ્રેસ પક્ષના સક્ષમ ઉમેદવાર જેનમબેન મહંમદઇદ્રીશ કડીવારે 931 જેટલા જંગી મતોની ઐતિહાસિક લીડથી ભવ્ય અને જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી પહેલા જે એકતરફી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેના પર આજે મતદારોએ મહોર લગાવી દીધી છે….

તાલુકા પંચાયતની આ બેઠકમાં ૯૩૧ મતોની તોતિંગ લીડ દર્શાવે છે કે અરણીટીંબા, પાંચદ્વારકા અને અમરસર ગામના મતદારોએ કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને કડીવાર પરિવાર પર પોતાનો સંપૂર્ણ ભરોસો મૂક્યો છે. કોંગ્રેસના વફાદાર સૈનિક અને ગામના પૂર્વ સરપંચ મહંમદઇદ્રીશ કડીવારે ભૂતકાળમાં કરેલા વિકાસના કામો અને તેમના સતત લોકસંપર્કનું આ સીધું પરિણામ છે. પરિણામ જાહેર થતાં જ ત્રણેય ગામોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી કરી હતી…

આ શાનદાર જીત બાદ નવનિયુક્ત તાલુકા પંચાયત સદસ્ય જેનમબેન કડીવાર અને પૂર્વ સરપંચ મહંમદઇદ્રીશ કડીવારે ભાવુક થઈને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના આભાર સંદેશમાં જણાવ્યું હતું કે: “આ ઐતિહાસિક વિજય માત્ર અમારો નથી, પરંતુ અરણીટીંબા, પાંચદ્વારકા અને અમરસર ગામના દરેક જાગૃત નાગરિક અને મતદારનો છે. તમે સૌએ અમારા પર જે અતૂટ વિશ્વાસ મૂકીને ૯૩૧ મતોની જંગી લીડ અપાવી છે, તેના માટે કડીવાર પરિવાર તમારો આજીવન ઋણી રહેશે. દિવસ-રાત જોયા વિના મહેનત કરનાર કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

આભાર દર્શન સાથે જેનમબેન કડીવારે મતદારોને ખાતરી આપી હતી કે, ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું એકતા, વિકાસ અને વિશ્વાસ નું વચન તેઓ અક્ષરશઃ પાળશે. લોકોએ આપેલા આ જંગી જનસમર્થનને તેઓ વિસ્તારના અવિરત વિકાસ કાર્યોમાં બદલી બતાવશે અને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા હંમેશા અગ્રેસર રહેશે. લોકોએ કરેલા એક મતના મજબૂત પગલાંએ આજે અરણીટીંબા બેઠક પર વિકાસના નવા દરવાજા ખોલી દીધા છે….
~ ઇદ્રીશભાઈ કડીવાર




