વાંકાનેરમાં પ્રેમિકાના શરીરે કેરોસીન છાંટી આગ લગાવી દેનાર એક ઇસમ સામે વર્ષ ૨૦૧૪ માં ગુનો નોંધાયો હોય, જે બાદ આ કેસ નામદાર મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે…


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ કરારએ તા. ૧૩/૦૯/૨૦૧૪ ના રોજ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, કે તેઓને છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હોય આરોપી ફરીયાદીના ઘરે જઈ તું તારા પતિ તથા બાળકોને છોડી મારી સાથે રહેવા આવ તેમ કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદીને ગાળો દઈ જો તું મારી નહી થાય તો તને તારા પતિની પણ નહી થવા દઉં તેમ કહી ફરીયાદીના ઘરના રસોડામાંથી કેરોસીનનું ડબલુ લઈ ફરીયાદીના આખા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી મારી નાખવાના ઈરાદાથી સળગાવી દઈ નાસી ગયો હતો…

આ મામલે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૫૦૪ મુજબની ફરીયાદ નોંધી હતી. આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને રૂ. ૩૫,૦૦૦/- દંડની સજા ફરમાવેલ છે. જો દંડ ન ભરે તો વધુ ૪ વર્ષની સજા ફરમાવેલ છે. સરકાર પક્ષે વકીલ તરીકે જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા….




