વાંકાનેર નગરપાલિકાની આજરોજ સાંજે 5 વાગ્યે સાધારણ સભા યોજાનાર હોય, જે પુર્વે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ સભાના એજન્ડામાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓ પર જનહિતમાં ખુલ્લી ચર્ચા બાદ મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે, જેમાં ગત સાધારણ સભામાં ભાજપ દ્વારા બહુમતીના જોરે મનસ્વી રીતે લોકોનાં પ્રશ્નો અંગે ચર્ચા કે કોઇપણ પ્રકારની રજુઆત સાંભળ્યા વિના એજેન્ડરની ચર્ચા વગર બે મિનિટમાં તમામ એજન્ડા મંજૂર કરી લોકશાહીની હત્યા કરવામાં આવી હોય, જે ભુલને સુધારી આગામી સભા જનહિતમાં લોકશાહી ઠબે યોજવા માંગ કરવામાં આવી છે…
આ તકે માહિતી આપતા કોંગ્રેસ અગ્રણી શકિલએહમદ પીરઝાદાએ જણાવ્યું હતું કે, વાંકાનેર નગરપાલિકાની આજની સાધારણ સભામાં કોંગ્રેસના સદસ્યોની મોટાભાગના પ્રશ્નોનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેમાં શહેરના ઓજી વિસ્તારને પાલિકામાં સમાવવામાં આવે અને જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી પાણી સહિતની સવલતો આપવામાં આવે, નગરપાલિકાને સીમાંથી બી ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે. તો નગરપાલિકાનું વિઝન શુ છે તે રજૂ કરવામાં આવે, નાગરિકોને પિવાના પાણી અને ગેસ લાઈનની પણ વ્યવસ્થા કરવા, બજારમાં લેડીઝ ટોયલેટ બનાવવા, નગરપાલિકામાં ખૂટતા કર્મચારીઓની ભરતી કરવા માંગ કરવામાં આવી છે….
આ સાથે જ આ તકે મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણે જણાવ્યું કે, મેં એજન્ડામાં સમાવવા 10 જૂને અરજી આપી હતી. જે ધ્યાને લેવામાં આવી નથી. જેથી ગઈકાલે મે પ્રાદેશિક કમિશનરને રજુઆત પણ કરી છે. વિપક્ષ નેતામહમદભાઈ રાઠોડે જણાવ્યું છે, કે જનરલ બોર્ડના એજન્ડામાં અમારા જે મુદ્દાઓ લેવામાં આવ્યા હોય ત્યારે તે તમામને પ્રમુખ પદેથી વંચાણે લઈ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ છે…
કોંગ્રેસ અગ્રણીઓના જણાવ્યા મુજબ વાંકાનેર નગરપાલિકાની તા. 8 એપ્રિલની સામાન્ય સભા 28 પૈકી 27 સદસ્યોની હાજરીમાં યોજવામાં આવી હતી. જેમાં વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા વર્ષ 2025/26 ના બજેટ સહીત વાંકાનેર શહેરના ભંગાર રોડ – રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી, તૂટી ગયેલા ગટરના ઢાંકણા, ફિલ્ટર વગરનું પીવાનું પાણી, આગ બુજાવવાના ફાયર ફાયટરના ભંગાર થઇ ગયેલા સાધનો વગેરે ગંભીર મુદ્દાઓ પર જાહેર જનતાની સુખાકારી અર્થે ચર્ચા વિચારણા કરવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ શાસક પક્ષ ભાજપ દ્વારા વાંકાનેર શહેરની ગંભીર સમસ્યાઓ બાબતે કોઈપણ ચર્ચા વગર, એજન્ડાના 1 થી 19 મુદ્દાઓનું વાંચન પણ કર્યા વગર, માત્ર બે મિનિટમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેથી આજની સાધારણ સભા લોકશાહી ઠબે યોજવા માંગ કરવામાં આવી છે….