વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા દુષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પીવાના પાણીમાં ગંદકી આવતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

વાંકાનેર શહેરમાં વિતરણ થતું આ પાણી પીવાલાયક ન હોવાથી ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ અને કોલેરા જેવા જળજન્ય રોગો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ દૂષિત પાણીના કારણે ગૃહિણીઓને પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બાબતે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માટે શહેરીજનો દ્વારા નગરપાલિકા તંત્ર અને સંબંધિત અધિકારીઓ પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી, પીવાના પાણીની લાઈનોનું સમારકામ તથા સફાઈ કરાવીને ફિલ્ટર સાથે શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી….




