ગુજરાત સરકારે જમીન મહેસૂલ અને ખરીદ-વેચાણના નિયમોમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. વર્ષ 1948થી અમલમાં રહેલા ‘ટુકડાધારા કાયદા’માં પ્રથમ વખત સુધારો કરવા માટે સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ નવા નિયમો લાગુ થવાથી ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

આ સુધારા પહેલાં જમીન ખરીદ-વેચાણ માટે ઓછામાં ઓછી 20 ગુંઠા જમીન હોવી જરૂરી હતી, જે ઘટાડીને હવે 10 ગુંઠા કરવામાં આવી છે. આ સાથે જ 135-ડી (135-D) ની નોટિસનો સમયગાળો જે અગાઉ 30 દિવસનો હતો, તે ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવાયો છે.
સરકારના આ નિર્ણયથી જમીનના રેકોર્ડમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા (મ્યુટેશન) ખૂબ જ ઝડપી બનશે. જે જમીનો પર લાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયા હોય, કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો હોય, ત્યાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. 135-ડી ની નોટિસનો સમય ઘટવાથી પ્રક્રિયામાં થતો બિનજરૂરી વિલંબ અટકશે. પરિણામે, જમીન લે-વેચમાં થતા ખોટા વાંધા અને બ્લેકમેઇલિંગ જેવી ગંભીર સમસ્યાઓમાંથી લોકોને કાયમી મુક્તિ મળશે…

શું છે 135(D) ની નોટિસ ?
જ્યારે પણ કોઈ ખેતીની જમીનનું ખરીદ-વેચાણ થાય ત્યારે ગામ નમૂના નં. 6 (હકપત્રક) માં નોંધ પાડવા માટે 135(D) ની નોટિસ આપવામાં આવે છે. આ નોટિસનો મુખ્ય હેતુ એ જાણવાનો હોય છે કે જમીનમાં કોઈ અન્ય વ્યક્તિનો હિત કે વાંધો તો નથી ને, અને મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે. બિનખેતી (NA) મિલકત હોય તો તેની નોંધ ગામ નમૂના નં. 2 માં પાડવામાં આવે છે.

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટુકડાધારા અને 135-ડી માં સુધારા અંગેના આ બંને વટહુકમોને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી અને જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ આ કાયદો રાજ્યભરમાં સત્તાવાર રીતે અમલમાં આવી જશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


