મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બનતી ગુનાહિત ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને યુવા અગ્રણી અજય ઝાલરિયા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને માળિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત માળિયા તાલુકાના રોહિશાળા ગામમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાઓ અને મોરબી શહેરના સરદાર બાગ શનાળા મેઈન રોડ પર જતીન સોની નામના યુવકની નિર્મમ હત્યા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અજય પટેલ ઝાલરિયાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, આવા અપરાધિક તત્વો અને ઉગ્રવાદી કૃત્યો સામે કાયદેસરની ઉચ્ચસ્તરીય કડક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને મોરબીની જનતા ભયમુક્ત વાતાવરણમાં રહી શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


