સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ દ્વારા આખરી પયગંબરની 1500મી જન્મજયંતિની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાંકાનેર પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મારવેલ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા પયગંબર સાહેબના પવિત્ર જીવનથી પ્રેરિત થઇ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે હેતુથી વાંકાનેરના સિંધાવદર, પ્રતાપગઢ, ખેરવા, પંચાસર તથા ગુલશન પાર્ક સહિતના વિસ્તારોમાં અલગ અલગ બાળ સ્પર્ધાઓ યોજાઈ હતી…
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં નાત શરીફ, તકરીર તથા ક્વિઝ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકોને ઈસ્લામિક જ્ઞાન તથા સારા સંસ્કારો સાથે આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો જેમાં 500થી વધારે બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં દરેક ગામોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વિશેષ ઈનામો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા…