વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખરીદેલી જમીનમાં લેવલિંગ કરાવતા મોરબીના ખેડૂત યુવાન ઉપર પલાસ ગામના ચાર શખ્સોએ હુમલો કરી ઢોર માર મારતાં આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ખાતે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ લુણસર ગામના વતની રમેશચંદ્ર શંકરલાલ વસીયાણી (ઉ.વ. 40) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં પલાસ ગામના આરોપી હીરાભાઈ સંગ્રામભાઈ ગમારા, મેરાભાઈ સાંમતભાઈ ગમારા, નાનુભાઈ ધારાભાઈ ગમારા તેમજ એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ લુણસર ગામની ધોળાકુવા સીમમાં પાંચ વિધા જમીન ખરીદી હોય,
જેમાં ગત તા.12ના રોજ જમીન લેવલિંગ કરાવતા હોય, ત્યારે ચારેય આરોપીઓ તેમની જમીનમાં આવી ‘ અહીં કેમ ખોદકામ કરો છો ? અમને પૂછ્યા વગર આ જમીન લેવલ ન કરતા નહીં તો જાનથી મારી નાખીશું ‘ તેમ જણાવી ફરિયાદી ધોકા વડે બેફામ માર મારતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….