વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતેના મંદિર પાસે બે દિવસ પહેલા રાત્રીના દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી બાબતે સ્થાનિક નાગરિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા, જેમાં ગત રાત્રીના સમયે એક દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, આ સાથે જ આ વિસ્તારમાં અન્ય દિપડાઓ પણ હોવાના અહેવાલને પગલે વન વિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા છે….
માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવતા આખરે દીપડો પાંજરે પુરાઇ ગયો છે…
હજુ એક દીપડો પાંજરે પુરાયો ત્યાં જ એક બાળ દીપડા સાથે બે દીપડાએ દેખા દેવાનું ગ્રામજનોમાં ચર્ચા શરૂ થતા જ ફરી ભયનું મોજું ફેલાયું છે. આ બાબતે વન વિભાગના અધિકારી પી.પી. નરોડીયા (આર.એફ.ઓ.)એ જણાવ્યું હતું કે, જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો આવવાની શક્યતાઓ રહેલી છે, તેથી દરેકે સાવચેત રહેવું જોઈએ. તેમજ પાલતુ પ્રાણીઓને રાત્રીના ખુલ્લામાં ન રાખતાં બંધ વાડામાં રાખવા જોઈએ…