મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું મોડીરાત્રીના આકસ્મિક હાર્ટ એટેક આવવાથી દુઃખદ નિધન થયું છે. તેઓ એક કાર્યકરના ઘરે મુલાકાતે ગયા હતા ત્યારે વાતો કરતા-કરતા અચાનક જ ઢળી પડ્યા હતા. આ આઘાતજનક ઘટનાથી મોરબી કોંગ્રેસ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ ચીખલીયા મોરબી શહેરમાં હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતેના વોર્ડ નંબર ૪ માં પાર્ટીના એક આગેવાનને મળવા માટે ગયા હોય, જ્યાં બેસીને આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યા હોય દરમ્યાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને મેજર હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા, જે બાદ તેમને તાત્કાલિક સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા…
કિશોરભાઈ ચીખલીયા માત્ર એક રાજકીય નેતા જ નહોતા, પરંતુ સામાજિક જવાબદારી પ્રત્યે પણ સભાન હતા. તેમણે હયાતીમાં જ ચક્ષુદાનનો સંકલ્પ કરેલો હતો જેને પૂર્ણ કરવા માટે તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ચક્ષુદાનની પ્રક્રિયા અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ ઉમદા કાર્ય દ્વારા તેમણે મૃત્યુ બાદ પણ સમાજને એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે…

જિલ્લા કોંગ્રેસ પ્રમુખના આકસ્મિક નિધનના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા છે, જે સમાચાર મળતાની સાથે જ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સમર્થકો દોડી આવ્યા હતા. પોતાના માનીતા નેતા ગુમાવ્યાના દુઃખ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવારમાં હાલ ભારે ગમગીની છવાઈ ગઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




