મોરબી જિલ્લામાં તાજેતરમાં બનેલી ગંભીર અપરાધિક ઘટનાઓને લઈને લોકસુરક્ષા અને શાંતિ હિતમાં ઉચ્ચ સ્તરીય કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પુર્વ ઉપપ્રમુખ અજય ઝાલરીયા દ્વારા નમ્ર અરજ રજૂ કરવામાં આવી છે. અરજમાં જણાવ્યા મુજબ ગત સપ્તાહ દરમિયાન મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 15 જેટલી ગાડીઓ પર પથ્થરમારો, એક યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશ કારખાનામાં છુપાવવાની ઘટના તેમજ પત્રકાર બની તોડપાણી અને લૂંટ કરનાર શખ્સોની ધરપકડ જેવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે.

આ તમામ ઉગ્ર અને અપરાધિક તત્વો સામે કાયદેસર કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે મોરબી જિલ્લાનું સામાન્ય જનજીવન સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સદૃઢ રહે તે હેતુસર જિલ્લા પ્રશાસન, મહાનગરપાલિકા અને રાજ્ય-કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને આ અરજ પાઠવવામાં આવી છે.


